The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesShe that disputes [Al-Mujadila] - Gujarati translation - Rabila Al-Omari
Surah She that disputes [Al-Mujadila] Ayah 22 Location Madanah Number 58
૧. નિ:શંક અલ્લાહ તઆલાએ તે સ્ત્રીની વાત સાંભળી, જે પોતાના પતિ બાબત (હે નબી) તમારી સાથે ઝઘડો કરી રહી હતી અને અલ્લાહ તઆલાથી ફરિયાદ કરી રહી હતી. અને અલ્લાહ તઆલા તમારા બન્નેની વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. નિ:શંક અલ્લાહ તઆલા બધું જ સાંભળવાવાળો, જોવાવાળો છે.
૨. તમારા માંથી જે લોકો પોતાની પત્નિઓ સાથે ઝિહાર (એટલે કે પોતાની પત્નિને માં જેવી કહેવું) કરે છે તે ખરેખર તેમની માં નથી બની જતી, તેમની માં તો તે જ છે, જેણીઓએ તમને જન્મ આપ્યો, અને આ લોકો જે કઈ કહી રહ્યા છે, તે એક નાપસંદ અને અને જુઠી વાત છે. નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરવાવાળો, માફ કરવાવાળો છે.
૩. જે લોકો પોતાની પત્નિઓથી ઝિહાર કરે, પછી પોતાની કહેલી વાતથી પાછા ફરી જવા ઈચ્છતા હોય તો તેમના પર એક બીજાને હાથ લગાવતાં પહેલા એક ગુલામ આઝાદ કરવો પડશે, તમને આ વાતની શિખામણ આપવામાં આવે છે. અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોને ખુબ જાણે છે.
૪. હાં, જે વ્યક્તિ (દાસ આઝાદ કરવાની) ક્ષમતા ન ધરાવતો હોય તો એક બીજાને હાથ લગાવતા પહેલા તેના પર બે માસના લગાતાર રોઝા છે. અને જે વ્યક્તિને તેની પણ ક્ષમતા ન ધરાવે તો તેના પર સાહીઠ (૬૦) લાચારોને ખાવાનું ખવડાવવું છે, આ એટલા માટે કે તમે અલ્લાહ અને તેના પયગંબર પર ઈમાન લાવો, આ અલ્લાહ તઆલાની નક્કી કરેલ નિયમો છે અને ઇન્કારીઓ માટે જ દુ:ખદાયી અઝાબ છે.
૫. નિ:શંક જે લોકો અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરે છે તેમને એવી રીતે અપમાનિત કરવામાં આવશે, જેમકે પહેલાના લોકોને અપમાનિત કરવામાં આવ્યા અને નિ:શંક અમે સ્પષ્ટ આદેશો ઉતારી ચુકયા છે અને ઇન્કાર કરનારાઓ માટે તો અપમાનિત કરી દેનારો અઝાબ છે.
૬. જે દિવસે અલ્લાહ તઆલા તે દરેક લોકોને જીવિત કરી ફરી ઉઠાવશે, તો તેમને તેમના કરેલા કાર્યો જણાવી દેશે કે તેઓ શું શું કરીને આવ્યા છે, અલ્લાહએ તેને સપૂર્ણ સુરક્ષિત રાખ્યા છે જ્યારે કે તેઓ તેને ભુલી ગયા હતા, અને અલ્લાહ તઆલા દરેક વસ્તુથી ખુબ જ વાકેફ છે.
૭. શું તમે નથી જોયું કે અલ્લાહ આકાશોની અને ધરતીની દરેક વસ્તુથી વાકેફ છે. એવું ક્યારેય થતું નથી કે ત્રણ વ્યક્તિની વાર્તાલાપ થતી હોય અને ચોથો તે (અલ્લાહ) ન હોય, અથવા પાંચ વ્યક્તિઓની વાર્તાલાપ થતી હોય અને છઠ્ઠો તે (અલ્લાહ) ન હોય, (મશવરો કરનાર) તેના કરતા વધારે હોય કે ઓછા તે તેમની સાથે જ હોય છે, તેઓ જ્યાં પણ હોય, પછી તે કયામતના દિવસે તેમને જણાવી પણ દેશે, જે કઈ તેઓ કરતા હતા, ખરેખર અલ્લાહ બધું જ જાણવાવાળો છે.
૮. શું તમે તે લોકોને જોયા નથી, જે લોકોને ગુસપુસ કરવાથી રોકવામાં આવ્યા હતા, ફરી તેઓ તે જ કાર્ય કરે છે, જેનાથી તેમને રોકવામાં આવ્યા હતા, અને તેઓ અંદરો-અંદર ગુનાહ, અતિરેક અને પયગંબરની અવજ્ઞા વિશે વાતો કરે છે અને જ્યારે તમારી પાસે આવે છે તો તમને એવી રીતે સલામ કરે છે, જે રીતે અલ્લાહએ તમને સલામ નથી કહ્યું, અને પોતાના મનમાં કહે છે કે જે કઈ અમે કહી રહ્યા છે, તેના પર અલ્લાહ અમને સજા કેમ નથી આપતો? તેમના માટે જહન્નમ પૂરતી છે, જેમાં તેઓ જશે. તો તે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
૯. હે ઇમાનવાળાઓ! તમે જ્યારે વાતચીત કરો તો ગુનાહ, અતિરેક અને પયગંબરની અવજ્ઞા વિશે ગુપસુપ ન કરો, પરંતુ ભલાઇ અને સયંમની વાતચીત કરો અને અલ્લાહથી ડરતા રહો, જેની પાસે તમે સૌ ભેગા કરવામાં આવશો.
૧૦. ગુસપુસ એ તો એક શેતાની કામ છે, જેનાથી ઇમાનવાળોને ઠેસ પહોંચે. જોકે અલ્લાહ તઆલાની આદેશ વગર તેમને સહેજ પણ તકલીફ પહોચી શકતી નથી.અને ઇમાનવાળાઓએ અલ્લાહ પરજ ભરોસો કરવો જોઈએ.
૧૧. હે મુસલમાનો! જ્યારે તમને કહેવામાં આવે કે મજલિસોમાં થોડા ખુલ્લા બેસો તો તમે ખુલ્લા બેસી જાવ, જેથી અલ્લાહ તમને વધારે આપશે, અને જ્યારે કહેવામાં આવે કે ઉભા થઇ જાવ તો તમે ઉભા થઇ જાવ, અલ્લાહ તઆલા તમારા માંથી તે લોકોના દરજા બુલંદ કરી દેશે, જે ઇમાન વાળાઓ છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, અને અલ્લાહ તઆલા (દરેક કાર્યથી) જે તમે કરી રહ્યા છો (ખુબ જ) વાકેફ છે.
૧૨. હે મુસલમાનો! જ્યારે તમે પયગંબરથી વાતચીત કરવા ઇચ્છો તો પોતાની વાતચીત પહેલા કંઇક સદકો (દાન) આપી દો આ તમારા માટે ઉત્તમ અને પવિત્ર છે, હાં જો તમારી પાસે (સદકો) આપવા માટે કઈ ન હોય, તો નિ:શંક અલ્લાહ તઆલા માફ કરવાવાળો,દયાળુ છે.
૧૩. શું તમે પોતાની વાતચીત પહેલા સદકો આપવાથી ડરી ગયા? બસ જ્યારે તમે આવું ન કર્યુ અને અલ્લાહ તઆલાએ પણ તમને માફ કરી દીધા તો હવે નમાઝ હંમેશા પઢતા રહો, ઝકાત આપતા રહો અને અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરતા રહો, તમે જે કંઇ પણ કરો છો તે ને અલ્લાહ સારી રીતે જાણે છે.
૧૪. શું તમે તે લોકોને જોયા નથી? જેમણે તે લોકો સાથે મિત્રતા કરી, જેમના પર અલ્લાહ ખુબ જ ગુસ્સે થઇ ચુકયો છે, ન તો આ (મુનાફિક) તમારા માંથી છે અને ન તેમના માંથી છે, જાણવા છતાં જુઠી વાતો પર કસમો ખાઇ રહ્યા છે.
૧૫. અલ્લાહ તઆલા એ તેમના માટે સખત અઝાબ તૈયાર કરી રાખ્યો છે, ખરેખર જે કઈ તેઓ કરી રહ્યા છે,અત્યંત ખોટું છે.
૧૬. તે લોકોએ તો પોતાની સોગંદોને આડ બનાવી રાખી છે જેની આડમાં તે લોકોને અલ્લાહના માર્ગથી રોકી રહ્યા છે તેમના માટે અપમાનજનક અઝાબ છે.
૧૭. તેમનું ધન અને સંતાનો અલ્લાહ પાસે કંઇ જ કામ નહીં આવે, આ લોકો જહન્નમી છે. જેમાં તેઓ હંમેશા રહેશે.
૧૮. જે દિવસે અલ્લાહ તઆલા તે દરેકને જીવિત કરશે તો આ લોકો જેવી રીતે તમારી સામે સોગંદો ખાય છે, (અલ્લાહ તઆલા) ની સામે પણ સોગંદો ખાવા લાગશે અને સમજશે કે (આવી રીતે) તેમનું કઈ કામ બની જાય, જાણી લો! ખરેખર તેઓ જ જુઠા છે.
૧૯. તેમના પર શેતાન છવાઇ ગયો છે અને તેમને અલ્લાહના ઝિકરથી વંચિત કરી દીધા છે, આ શેતાની જૂથ છે, સાંભળો! કે શેતાની જૂથ જ નુકસાન ઉઠાવનારા હશે.
૨૦. નિ:શંક અલ્લાહ તઆલા અને તેના પયગંબરનો જે લોકો વિરોધ કરે છે, તે લોકો સૌથી વધારે અપમાનિત છે.
૨૧. અલ્લાહ તઆલા લખી ચુકયો છે કે નિ:શંક હું અને મારો પયગંબર જ વિજયી રહીશું, નિ:શંક અલ્લાહ તઆલા જ શક્તિશાળી અને વિજયી છે.
૨૨. જે લોકો અલ્લાહ તઆલા અને કિયામતના દિવસ પર ઇમાન ધરાવે છે, તમે ક્યારેય તેમને નહીં જુવો કે તેઓ એવા લોકો સાથે મિત્રતા કરતા હોય, જેઓ અલ્લાહ અને તેના પયગંબરના વિરોધી છે, ભલેને પછી તેમના પિતા, દિકરા અને ભાઇ અથવા તેમના કુંટુબીઓ પણ કેમ ન હોય, આ જ તે લોકો છે, જેમના હૃદયોમાં અલ્લાહ તઆલાએ ઇમાન સાબિત કરી દીધું છે. અને પોતાના તરફથી એક રૂહ તેમની મદદ કારી છે. અલ્લાહ તેમને એવા બગીચામાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે. જ્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી ખુશ થઇ ગયો અને તેઓ અલ્લાહથી ખુશ થઇ ગયા, આ અલ્લાહનું જૂથ છે. સાંભળો! ખરેખર અલ્લાહ ના જૂથવાળાઓ જ સફળ થવાવાળા લોકો છે.